દેશમાં સૌ પ્રથમ વખત અંગદાતાની કાયમી યાદગીરી માટે સ્મૃતિ ચોકનું નિર્માણ અને અંગદાતાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હોય એવી દેશની સૌ પ્રથમ ઘટના.
મૂળ પાટણા ગામના વતની અને હાલ સુરતના રહેવાસી લેઉવા પટેલ સમાજના અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના ૧૪ વર્ષીય વ્હાલસોયા બાળક સ્વ. ધાર્મિકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન તા. 30 ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ડોનેટ લાઈફના માધ્યમથી સુરતની કિરણ હોસ્પિટલ થી કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. સૌથી નાની ઉમરના અને ડાયાલીસીસ કરાવતા બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવાની આ દેશની સૌપ્રથમ ઘટના હતી. જેણે દેશભરમાં ચર્ચા જગાવી હતી.
આ ગૌરવવંતી ઘટનાની કાયમી યાદગીરી અને માનવ સમાજને અંગદાન કરવાની પ્રેરણા મળે એ માટે સમસ્ત પાટણા ગામના આર્થિક સહયોગથી સ્વ.ધાર્મિક કાકડીયા સ્મૃતિચોકનું લોકાર્પણ અને તેની પ્રતિમાનું અનાવરણ તા. ૫ મે, ૨૦૨૨ ના રોજ પાળીયાદધામના મહંતશ્રી પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ નિર્મળા બાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ પ્રસંગે અન્ય મહાનુભાવોની સાથે ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ શ્રી નિલેશભાઈ માંડલેવાલાએ ઉપસ્થિત રહી સ્વ. ધાર્મિક કાકડિયાના પરીવારને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે,” તમે તમારા બાળકના લિવર, હૃદય, ફેફસાં, ચક્ષુઓની સાથે બંને હાથોનું દાન કરીને અનેક ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે. આપણા દેશમાં ઘણા બધા વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ જાય છે અને તેઓ પોતાનું સામાન્ય જીવન જીવી શકતા નથી. સ્વ. ધાર્મિકના બંને હાથોનું દાન કરી તમે આવા વ્યક્તિઓના જીવનમાં જીવન જીવવાની નવી આશા ઉભી કરી છે.”
અંગદાન…જીવનદાન…
