- આયુષ મંત્રાલય, ભારત દ્વારા 9મી વર્લ્ડ આયુર્વેદ કોન્ફરન્સનું તા. 8 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી પંજીમ, ગોવા ખાતે આયોજન
- પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા તા. 10 ડિસેમ્બરનાં રોજ પશુ આયુર્વેદ ચિકિત્સા અંગે પોતાનું માર્ગદર્શન આપશે.
આયુષ મંત્રાલય, ભારત દ્વારા વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)ની શરૂઆત વર્ષ 2002માં કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ આયુર્વેદ સાથે સંકળાયેલ વ્યક્તિ , સંસ્થા , ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને ગ્રાહકોને એકબીજા સાથે જોડી, વિચારોનું આદાન પ્રદાન કરી આયુર્વેદ સેક્ટરનો વિકાસ માત્ર ભારત માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય તેવો છે. પ્રથમ કોન્ફરન્સનું આયોજન કેરાલાનાં કોચિ ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)નું આયોજન ભારતનાં અલગ અલગ શહેરમાં કરવામાં આવે છે. આ વર્ષે થવા જઇ રહેલી 9મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)નું આયોજન તા. 8 ડિસેમ્બર થી 11 ડિસેમ્બર સુધી પંજીમ , ગોવા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 4500થી પણ વધારે ભારતીય પ્રતિનિધિઓ , 400થી વધારે અન્ય દેશોના પ્રતિનિધિઓ અને 45થી પણ વધારે દેશ ભાગ લેશે . 9મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC)ની થીમ ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ છે. જેનો હેતુ ક્રોસ-સેક્ટરલ છે. ‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ની થીમ દ્વારા વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (WAC) પ્રાણી , પર્યાવરણ અને માનવ પરના આરોગ્ય જોખમોને સંબોધવા માટે મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. સ્થાનિક , રાજકીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદ દ્વારા રોગનું નિદાન , નિરાકરણ , દેખરખ કરવાના ધ્યેય સાથે આ ચાર દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેમિનાર તેમજ માર્ગદર્શિય સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદની આરોગ્ય અને પર્યાવરણ પર અસરો , આયુર્વેદ દ્વારા રોગનું નિરાકરણ , આયુર્વેદની સંશોધન પદ્ધતિઓ , આયુષ આહાર , આયુર્વેદિક ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન લક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી , રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ, GCCI(ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)નાં સ્થાપક અને ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા તા. 10 ડિસેમ્બર , શનિવારનાં રોજ પશુ આયુર્વેદ ચિકિત્સા અંગે પોતાનું માર્ગદર્શન આપશે. તેમની સાથેના પ્રતિનિધિ મંડળમાં રાજકોટથી ભારત સરકારના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિતલ ખેતાણી અને દિલ્હીથી GCCIનાં જનરલ સેક્રેટરી પુરીશ કુમાર પણ હાજર રહી માર્ગદર્શન આપશે.