રાજકોટનાં પ્રખ્યાત ‘ગીર ગંગા ટ્રસ્ટ’નાં ચેકડેમનાં નિર્માણ અને જળ સંસાધનોનાં સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
‘જળ એ જ જીવન’નાં આદર્શ પર કાર્યરત ‘ગીરગંગા પરીવાર ટ્રસ્ટ’ વર્ષાનાં પ્રત્યેક બુંદનાં સંચય, પ્રકૃતિ અને પર્યાવરણનાં જતન અને સંરક્ષણ હેતુ તુટેલા ચેકડેમનાં પુનઃસ્થાપન, ઉંચા કે ઉંડા કરવા તેમજ પાકૃતિક જળપ્રવાહમાં માર્ગમાં આવતા સરોવરનાં નિર્માણ કાર્યમાં લોકભાગીદારીથી રાષ્ટ્ર અને પ્રકૃતિનાં હિતમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં સંસ્થા નાનામોટા ૧૦૧ તળાવનાં પુનઃ સ્થાપન અને નિર્માણમાં ફળ રહી છે.
‘ગીરગંગા પરીવાર ટ્રસ્ટ’ દ્રારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી રીપેર કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનનાં તળ ખુલ્લા કરવામાં આવે છે, ડેમની ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી આપી પાક ઉત્પાદન પુષ્કળ કરવામાં મદદરૂપ થાય છે. અત્યાનાં સમયમાં ફકત રાજકોટ જીલ્લામાં જ ૩૦૦૦થી વધુ અને સૌરાષ્ટ્રમાં ૫૦ હજારથી વધુ ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ‘ગીરગંગા પરીવાર ટ્રસ્ટ’નાં પ્રમુખ દિલીપભાઈ સખિયા અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સભ્ય મિત્તલ ખેતાણીએ મુલાકાત કરી હતી. કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીને રાજકોટ આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મુલાકાત દરમિયાન રાજકોટનાં પ્રખ્યાત ‘ગીર ગંગા ટ્રસ્ટ’નાં ચેકડેમનાં નિર્માણ અને જળ સંસાધનોના સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ તમામ મુદ્દાઓ ખુબ ધ્યાનથી સાંભળી ચેકડેમ રીપેર,પુન: નિર્માણ અંગે પોતાનું પણ અનુભવ સિદ્ધ માર્ગદર્શન આપ્યું હતું તેમજ નજીકનાં ભવિષ્યમાં રાજકોટ ખાતે આવવાની અનુમતિ આપી હતી.