માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૩૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 120 વડીલો તો પથારીવશ (ડાઇપર વાળા) છે.
ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવીને વડીલોના આશીર્વાદ મેળવવાનું પ્રેરણાદાયી કાર્ય કરાયું છે. અરવિંદભાઇ રૈયાણીનાં જન્મદિવસે તા.1 એપ્રિલ અને શુક્રવારના રોજ સાંજે 7 વાગ્યે તેઓ પોતે અને તેમની પૂરી ટીમ સદભાવના વૃદ્ધાશ્રમ,પીપળીયા ભવન ખાતે ઉપસ્થિત રહીને વડીલોને જાતે ભોજન પીરસી તેમની સાથે જ ભોજન પ્રસાદ લઈને જન્મદિવસની ઉજવણી કરી હતી . આ પ્રસંગે શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઇ ડોબરિયા , ધીરુભાઈ કાનાબાર, રાજુભાઇ રૂપાપરા પણ ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસની પ્રેરક ઉજવણી વૃદ્ધાશ્રમના માવતરો સાથે રહીને કરવા બદલ ગુજરાત સરકારના યુવા, સેવાભાવી મંત્રી અરવિંદભાઇ રૈયાણી પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
