૨૦૧૯ની પશુગણતરી મુજબ ગુજરાતમાં કુલ પશુધન ૩ કરોડની આસપાસ છે. આટલા વિશાળ પશુધનને નિયમીત રૂપે ઘાસનો પુરવઠો જોઈએ . જંગલ ખાતાની ઘાસની વીડી છે તેમાંથી ઘાસ કાપીને ગોડાઉનમાં ત્રણ વરસ ભરી રાખવામાં આવે છે . ત્રણ વરસમાં ઘાસ સડી જાય માટે ખાવાલાયક રહેતું નથી. ગોડાઉનની મર્યાદા તેમજ તુટેલા પતરાના છાપરાવાળા ગોડાઉનના કારણે ઘાસ પલડીને પણ બગડી જતું હોય છે. તેમજ સ્ટોક કરવાની જગ્યા ન હોવાથી ખુલ્લામાં ગંજીઓ કરવાની ફરજ પડે છે. જેના કારણે ઘાસને નુકસાન થતું હોય છે. આ બાબત ધ્યાન પર આવતા ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય તેમજ વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ તથા મિતલ ખેતાણી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણાને રૂબરૂ મળી પશુહિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં લોકહીત અને પશુ હીતમાં નિર્ણય કરવા વિનંતી કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નવી સીઝનનું ઘાસ સ્ટોક કરવા લાયક આવે એટલે તુરંત જ જૂના સ્ટોકની જાહેર હરાજી કરી તે વેચી નાંખવું જેથી પશુધનને સારૂ ઘાસ મળી રહેશે અને સરકારને ઘાસ સાચવવાની જવાબદારીમાંથી પણ રાહત મળી રહેશે. આ રજૂઆત અંગે ગુજરાત રાજ્યના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ જીવદયા પ્રેમી વન મંત્રી કિરીટસિંહ રાણાનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.
જંગલ ખાતા હસ્તકનો ઘાસનો જથ્થો અબોલ જીવોને ઉપલબ્ધ કરાવવા બાબત સમસ્ત મહાજન દ્વારા ગુજરાત રાજ્ય સરકારને રજૂઆત કરાઇ
