
- પંકજભાઈ બૂચની સફળ રજૂઆત
ગુજરાત રાજ્યમાં ચાલતી કરુણા ઍમ્બ્યુલન્સ-1962 સાંજ સુધી ઘાયલ અને બિમાર પશુ-પક્ષીની ફરિયાદો અટેન્ડ કરીને તેમને સારવાર આપવાનું કાર્ય કરે છે.પરંતુ ફરિયાદોનું પ્રમાણ વધુ અને તબીબી સ્ટાફનું પ્રમાણ ઓછું હોવાથી એક દિવસમાં દરેક ફરિયાદનું નિવારણ લાવવું શક્ય બનતું નથી. આથી ઘણી ફરિયાદો અટેન્ડ થઈ શકતી નથી , જે બીજે દિવસે પણ કેરી ફોરવર્ડ કરવામાં આવતી નથી . બીજે દિવસે નવેસરથી ફરિયાદો નોંધવામાં આવે છે. આ બાબત ધ્યાન પર આવતા ગુજરાત રાજ્યના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય પંકજ બૂચ દ્વારા પશુપાલનમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર દ્વારા પશુહિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદ નોંધવાનાં સોફ્ટવેરમાં ફેરફાર કરીને બાકી રહેલી ફરિયાદો બીજે દિવસે કેરી ફોરવર્ડ કરવામાં આવે અને તેને પ્રાધાન્ય આપવામાં આવે. ઉપરાંત પંકજભાઈ બૂચ દ્વારા રાજ્યના દસ ગામોમાં ચાલતી કરુણા ઍમ્બ્યુલન્સ અંગેની વિગતવાર માહિતી જાહેર કરવા વિનંતી કરાઇ હતી. જેથી જાહેર જનતા તેનો ઉપયોગ કરી શકે અને પશુ પક્ષીઓની સારવાર સહેલાઈથી કરવી શકે.
પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પંકજભાઈ બૂચની આ રજૂઆતોને ધ્યાનમાં લઈને હકારાત્મક પ્રતિભાવ આપી પશુહિતમાં ઘાયલ અને બીમાર પશુઓની ફરિયાદ બીજે દિવસે કેરી ફોરવર્ડ કરવાની વ્યવસ્થા ગોઠવવા અને તે અંગે કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમજ કરુણા ઍમ્બ્યુલન્સ કયા કયા દસ ગામોમાં કાર્યરત છે તેના નામ સાથેની યાદી કરુણા ઍમ્બ્યુલન્સ ઉપર મોટા અક્ષરથી લખવાનું જણાવાયું છે. જેથી જાહેર જનતાને કરુણા ઍમ્બ્યુલન્સ અંગે માહિતી મળી રહે.

