
ગાય હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. “ગૌ ટેક – 2023” એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લોકો હાજર રહેશે. “ગૌ ટેક – 2023”નું આયોજન 24મી મે થી 28મી મે દરમિયાન રેસકોર્સ, રાજકોટ, ગુજરાત ખાતે થનાર છે. આગામી ગાય એક્સ્પોમાં પરંપરા અને ટેકનોલોજીનું સંપૂર્ણ સમન્વય થવાનો છે. ગાયનાં પંચગવ્ય નિર્મિત શેમ્પૂ, સાબુ અને ગૌમૂત્ર વડે બનાવેલ સૌંદર્ય પ્રસાધનો, દવા સહિત ગાય આધારિત ઉત્પાદનો વિશેની જાણકારી અને સમજ આ એક્સ્પોમાં આપવામાં આવશે. હાલમાં ગાયની સારવાર માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. ગૌમાતાની ચિકિત્સામાં વધારો થાય અને ગાયને આધુનિક સારવાર મળી રહે તે માટે અને ગાયની દવા બનાવતી કંપનીઓ, સ્વાવલંબી ગૌશાળાઓ – પાંજરાપોળોમાં સ્વાવલંબન વધે તે માટે “ગૌ ટેક – 2023” માં દેશનાં સૌથી મોટા એક્ઝિબિશનનું આયોજન થવા જઈ રહ્યું છે. “ગૌ ટેક – 2023”ની વિસ્તૃત માહિતી આપવા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી (જી.સી.સી.આઈ) નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભારત સરકારના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી, હંસરાજભાઈ ગજેરા અને મનીષભાઈ ભટ્ટની ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે મુલાકાત કરવામાં આવી હતી. “ગૌ ટેક – 2023” વિષે વિવિધ ચર્ચાઓ થઇ હતી. ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ “ગૌ ટેક – 2023”નાં આયોજનને પોતાની શુભકામના પાઠવી હતી અને શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.