• પાયાની લોકશાહીનું જળવાશે માન, જ્યારે આંગળી પર લાગશે નિશાન

લોકશાહી એટલે સામાન્ય રીતે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકો જેને મત આપીને ચૂંટે એ જ સત્તા પર આવે અને એના દ્વારા જ સત્તા ચાલે, દેશ ચાલે. હવે જયારે મતદાન કરવાનો અને ખરેખર સત્તા પર કોણ બેસશે તે નક્કી કરવાનો સમય આવે છે ત્યારે એક નાગરિક તરીકે લોકો ક્યારેક મતદાન કરવાની ફરજ ચુકી જાય છે. લોકશાસનમાં, સામાન્ય રીતે ચૂંટણી વખતે મતદાનને લાગુ પાડવામાં આવે છે, જેથી ઉમેદવારોમાંથી એક મતદાતા કોઇ એકને પસંદ કરી અને મત આપી શકે છે, લોકશાહીમાં મતદાતા તેમની સરકારમાં પોતાનો પ્રતિનિધિ નિયુક્ત કરે છે. મતદાનમાં મત આપવો એક વ્યક્તિગત કાર્ય છે, જેનાથી વ્યક્તિ એક ચોક્કસ સભ્ય, સભ્યોની ચૂંટણી, કે એક રાજકીય પક્ષના એક ચોક્કસ પ્રસ્તાવને પસંદ કે પોતાનો ટેકો પૂરો પાડે છે. મારા એક મતથી શું થશે ? હું મતદાન નહિ કરું તો શું ફેર પડશે ? હવે એમાં મત શું આપવાનો જેને આવું હોય એ આવે. આવા ઘણા વિચારો દ્વારા લોકો મતદાન નથી કરતા હોતા અને પછી જે કોઈ સરકાર આવે અને વિવિધ નિર્ણયો લે ત્યારે તેમને ક્રીટીસાઈઝ કરતા હોય છે. સરદાર પટેલ કોર્પોરેશનમાં એક મતને કારણે ચૂંટણી હારી ગયા હતા તો એક મત વધુ મળવાથી હિટલર નાઝી પાર્ટીનું પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગનો જન્મ થયો હતો. એક મત ઓછો મળવાને કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાને બદલે વિપક્ષમાં જવું પડ્યું હતું. જયારે મતદાનનો સમય જતો રહે એ પછી કંઈ જ ન થઇ શકે. આથી મતદાન કરવું એ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ છે. હવે સમય આવી ગયો છે જવાબદારીથી લોકશાહીની ફરજ નિભાવવાનો.  મતદાન માત્ર કરવા ખાતર નહીં પણ રાષ્ટ્ર નિર્માણ માટે કરીએ, આવો આપણે સહુ કૃતસંકલ્પ બની, રાષ્ટ્ર સેવા માટે 100 % મતદાન કરીએ.

– રમેશ ઠક્કર(મો. 99099 71116)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *