પરમધામ સાધના સંકુલનાં દિવ્ય સ્પંદનોમાં આયોજિત બે દિવસીય ગુરુપૂર્ણિમા અવસરનાં અનેકવિધ કાર્યક્રમો કરાવશે ભક્તિભીની સમર્પણતાની ભાવાનુભૂતિ
હજારો હૃદયમાં ગુરુ તત્ત્વનાં અનન્ય સ્થાન પર બિરાજી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં ચરણ શરણમાં આગામી ગુરુપૂર્ણિમા અવસરે શ્રદ્ધા-ભક્તિની અર્પણતા કરવા દેશ-વિદેશનાં ભાવિકો થનગની રહ્યાં છે, ત્યારે મહારાષ્ટ્રનાં, પરમધામ સાધના સંકુલનાં દિવ્ય પ્રાકૃતિક સ્પંદનોમાં બે દિવસીય ગુરુપૂર્ણિમા અવસરનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે પરમધામ સાધના સંકુલમાં ચાતુર્માસ અર્થે સ્થિત 48 સંત -સતીજીઓ પણ ગુરુ ચરણે ભક્તિ અર્પણ કરશે. 24th અને 25th જુલાઈ 2021 એમ બે દિવસીય ‘ગુરુ-કરુણા અને કલ્યાણનો સરવાળો’ ગુરુપૂર્ણિમા અવસરનાં કરવામાં આવેલાં આયોજન અંતર્ગત સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મુંબઈ, પૂર્વ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારતનાં અનેક ક્ષેત્રોનાં ગુરુ ભક્તોની સાથે વિદેશનાં અમેરિકા, લંડન, ઑસ્ટ્રેલિયા, સુદાન, દુબઈ, અબુધાબી, મલેશિયા, આફ્રિકા આદિ વિદેશનાં અનેક ક્ષેત્રોનાં હજારો ભાવિકો જોડાઈને પોતાનાં શિષ્યત્વની અર્પણતા કરવા આતુર બની રહ્યાં છે.ગુરુ-શિષ્યની યુગો-યુગોની ગૌરવવંતી પરંપરાને ઉજાગર કરનારા આ મહોત્સવમાં 24th જુલાઈ ને શનિવારે સવારનાં 08:00 કલાકે ભક્તિ સંગીતનાં વિશેષ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર શ્રી જતિનભાઈ બીડ અને શ્રી ચિંતનભાઈ રાણાની સ્તવના સાથે અન્ય રસપ્રદ કાર્યક્રમો યોજાશે. વિશેષમાં આ અવસરે શાસનદીપક ગુરુદેવ પૂજ્ય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબની 11મી પુણ્યતિથિ અવસરે ધર્મવત્સલા શ્રી બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા પૂજ્ય શ્રી જય-વિજયાજી મહાસતીજી-મા સ્વામીની સ્મૃતિમાં છેલ્લા 1 વર્ષથી ચાલતું મેગેઝીન ‘માં સ્વામીની પ્રેરણા’ના આ અંકમાં ગુરુ-શિષ્યની પરંપરા પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવનો સંવાદ, “પારદર્શી સંવાદ અનંતને પાર અનહદનો સાર” અંકનું આ અવસરે વિમોચન કરવામાં આવશે.એ સાથે જ, 25th જુલાઈ,રવિવારે સવારના 09:00 કલાકે લુક એન લર્ન જૈન જ્ઞાનધામના અનેક સેન્ટર્સ, અર્હમ યુવા સેવા ગ્રુપનાં અનેક સેન્ટર્સ, પરમ ગુરુદેવ પ્રેરિત અનેકવિધ મિશન્સનાં વિવિધ ગ્રુપ્સ તેમજ અનેક ગુરુભક્તો દ્વારા પોતાના અંતરની ભક્તિ – સમર્પણતાની અદભૂત પ્રસ્તુતિ કરશે. આ અવસરે શ્રી હાર્દિકભાઈ શાહ સુમધુર ભક્તિગીતોની રમઝટ સાથે સહુને ભક્તિભાવમાં ભીંજવશે.
ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ગુરુપૂર્ણિમાના અવસરે હજારો ભાવિકો દેશ-વિદેશથી પરમ ગુરુદેવના સાંનિધ્યે શ્રદ્ધા સમર્પણભાવની અર્પણતા કરવા ગુરુ ચરણે પધારી જતાં હોય છે. ત્યારે વર્તમાન સમયની કોરોના મહામારીને અનુલક્ષીને સરકારી ગાઇડલાઇનને અનુસરતાં માત્ર મર્યાદિત સંખ્યામાં ભાવિકો દેશના અનેક ક્ષેત્રોથી પરમધામ સાધના સંકુલમાં પરમ ગુરુદેવના સાંનિધ્યે પધારશે. વિશેષત: હજારો ભાવિકોને લાઈવના માધ્યમે આ અવસરે જોડાઈ પોતાની સમર્પણતાની અભિવ્યક્તિ કરવા ભાવભર્યું આમંત્રણ છે.
