
તાજેતર માં પશુપાલન , ડેરી અને ફિશરીઝ ના કેન્દ્રિય મંત્રી શ્રી પુરુસોતમ રૂપાલાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા ચલાવવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી ‘ગોમય રાખી’, ‘ગોમય ગણેશ અભિયાન’ તથા ‘ગૌમય દિપાવલી’ અભિયાનની પ્રચંડ સફળતા તેમજ અન્ય આનુષાંગીક ગતિવિધીઓ તથા આ અભિયાન થકી ગૌસેવા–ગૌઆધારીત ઉદ્યોગોના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી દેશના વિવિધ વિભાગો તથા સંસ્થાઓ સાથેના જોડાણ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી. ‘ગોમય રાખી અભિયાન’ ની પ્રચંડ, ગરીમામય સફળતાથી પ્રેરાઈને આગામી દિવસોમાં દેશીકુળના ગાયોના ગોબરમાંથી નિર્મિત ગોમય મૂર્તિઓ (ગણેશ,દેવી–દેવતાઓ જેમ કે લક્ષ્મી , શારદા, દુર્ગા, શ્રી કૃષ્ણ, શ્રીરામ, મહાવીર, બુધ્ધ વિગેરે), કિચેન, ટેબલપીસ, કેલેન્ડર, ઘડીયાળ, ફ્રેમ, ચંપલ, લાભ–શુભ, પ્લેટસ, જેવી અનેક વસ્તુઓનું નિર્માણ કરનારાઓને પ્રોત્સાહીત કરી, તેમજ માર્ગદર્શન આપી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ વિકાસ, ગૌ પાલકોને સમૃદ્ધ કરવાના, મહિલા–યુવાનોને રોજગાર, આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, પર્યાવરણ રક્ષાના આહવાનમાં ગૌ સેવાના માધ્યમ થી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ નિરંતર રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી ગૌશાળા–પાંજરાપોળો અને ખેડૂતોને છાણ સહીતની પંચગવ્ય પ્રોડકટસનું પુરતું મુલ્ય પણ મળતુ થશે.
આખા ભારતમાં નિઃસહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં ગૌ અભ્યારણ્ય, ગૌઆશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ, જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે. જયાં સ્થાનીક મહિલાઓ, યુવાનો જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે. તેમજ ગૌમૂત્ર, ગોબરના વેંચાણ થકી આવક પણ મેળવે અને સાથોસાથ આ ગૌશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને. વધુમાં આ ગૌધામમાં આશરો આપાયેલ રખડતી ગાયોને પુરતા પ્રમાણમાં આરોગ્યવર્ધક ખોરાક, સારવાર આપીને ફરીથી તેમને તંદુરસ્ત બનાવવામાં આવે અને જયારે અને જે ગાયો તંદુરસ્ત બને તેમને ફરીથી કૃષિ, પશુપાલન વિગેરે કાર્ય માટે સમાજને ભેટ આપવામાં આવે. આવા કેન્દ્રોમાં સારી નસલના ધણખુંટ પણ પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. તે માટે ના પ્રયાસો રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ વગેરે વિષયોની વિગતવાર ચર્ચા કેન્દ્રિય મંત્રી શ્રી પુરુસોતમ રૂપાલાજી સાથે કરવામાં આવી.
આ પ્રસંગે ડો. કથીરિયાએ રાષ્ટ્રીય કામધેનુ આયોગના બે વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલ કામગીરી અંગેની “ગૌ સેવા … રાષ્ટ્ર સેવા…” બુક માનનીય મંત્રી શ્રી પુરુસોતમ રૂપાલાજી ને અર્પણ કરી હતી.