વૈશ્વિક સ્તરે જળ, જમીન, જંગલ, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા વિશ્વ શાકાહારી દિવસ નિમિત્તે “શાકાહાર-સ્વસ્થ જીવનનો આધાર” વિષય પર આંતર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં શાકાહાર પરત્વેની જાગૃતિ લાવવા માટે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઇ શાહ માર્ગદર્શન કરશે. જેનું સંચાલન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન – રાજકોટનાં મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવશે.
વેજિટેરિયન ખોરાક વધુ સંતુલિત હોય છે. માંસાહાર કરતાં શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ વધુ ચડિયાતાં છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવવું હશે તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવશરીર માટે એક સંપૂર્ણ ફૂડ-પેકેજ છે, જેમાં જરૂરી વિટામિન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે. સંતુલિત શાકાહારી ખોરાક વ્યક્તિને બાવડેબાજ અને મજબૂત બનાવી શકે છે, શાકાહાર હ્રદયસંબંધી રોગના ખતરાને દૂર રાખે છે માંસાહારમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હ્રદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે, તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હ્રદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે, શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. સ્વસ્થતાનો માપદંડ ગણાતો ‘બોડી માસ ઇન્ડેક્સ’ (બીએમઆઈ) પણ શાકાહારીઓમાં માંસાહારીની તુલનામાં વધુ સારો જોવા મળે છે. શરીરનું વજન એકસરખું જાળવી રાખવા તેમજ સંતુલિત સ્વાસ્થ્ય માટે શાકાહારને વધુ મહત્વ આપવાની નિષ્ણાંતો સલાહ આપે છે, શાકાહાર લાંબી આયુનું વરદાન આપે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે, શાકાહાર પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે, શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્વનું ઘટક સેરીબ્રોસાઇડ નામનું તત્વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક છે. આવા અનેક વિષયોનો સંકલન કરતા આ વેબીનારનું આયોજન તા.01/10/2021, શુક્રવારનાં રોજ સાંજે 8:30 કલાકે કરવામાં આવ્યું છે. આ વેબીનારને કરુણા ફાઉન્ડેશનના ફેસબુક પેઇજ https://www.facebook.com/animalhelplinekarunafoundation પર અને સમસ્ત મહાજનનાં ફેસબુક પેઇજ https://www.facebook.com/SamastMahajan9 પર લાઈવ નિહાળી શકાશે. શાકાહારનાં આવા અનેક ફાયદા જાણવા તેમજ સ્વસ્થ જીવન શૈલી અપનાવવા માટે સૌને આ વેબીનારમાં જોડવવા સમસ્ત મહાજનનાં ગિરીશભાઇ શાહ અને મિત્તલ ખેતાણી દ્વારા વિનંતી કરવામાં આવી છે. આ અંગે વધુ જાણકારી માટે ગિરીશભાઇ શાહ(મો. 98200 20976) , મિત્તલ ખેતાણી(મો. 98242 21999) પર સંપર્ક કરવા વિનંતી કરવામાંઆવી છે.