• ઈટ ફૂડ, ફિલ ગુડ
  • માંસાહાર, સર્વ નાશાહાર

નવેમ્બર 20, 1945 માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સામાન્ય પરિષદમાં એફએઓના સભ્ય દેશો દ્વારા “વર્લ્ડ ફૂડ ડે” ની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે 16 ઓક્ટોબરે તેની ઉજવણી કરવામાં આવે છે. મુખત્વે આ દિવસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ભૂખમરો નાબુદ કરવા માટે અસ્તિત્વમાં આવ્યો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, કુપોષણનો સૌથી મોટો ફાળો બાળ મૃત્યુદર છે. જે મોટા ભાગે ભૂખમરાને કારણે અથવા પુરતો અને પૌષ્ટિક ખોરાક ન મળવાને કારણે થાય છે. દર વર્ષે અંદાજે 60 લાખ જેટલાં બાળકો ભૂખથી મરે છે. ઓછું વજન જન્મ અને આંતરડાની વૃદ્ધિ પર પ્રતિબંધ એક વર્ષમાં 22 લાખ બાળકોના મૃત્યુનું કારણ બને છે. વિશ્વની ભૂખ એ ખોરાકની ક્ષમતાના અભાવનું પરિણામ નથી, પરંતુ વિશ્વનાં અન્ન સંસાધનોનું અસમાન વહેંચણી છે. વળી સાધનો ઉપલબ્ધ છે તો એનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. બાળકોની સાથે ઘણા યુવાનો પણ આજકાલ જંક ફૂડ, માંસાહાર જેવી ચીજવસ્તુઓ ખાવાનાં કારણે જાતજાતની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. એવું જરૂરી નથી જ કે કાયમ ફળો અને કાચી શાકભાજીઓ પર જ નિર્ભર રહેવું, પણ સમય સાથે શરીરમાં બેલેન્સ જાળવવું આવશ્યક છે. કોરોનાકાળમાં જ ઘણા યુવાનો કે આધેડ વયના વ્યક્તિઓને હાર્ટ એટેકનાં આવવાનાં કિસ્સા જોવા મળ્યા હતાં તેનું એક કારણ હાઈપર ટેન્શન કે ઓવર સ્ટ્રેસ તો હોય જ પરંતુ એની સાથે સાથે ખાવાની ખોટી આદતો પણ સમાયેલી છે. એક સંશોધન અનુસાર માણસ જયારે વધુ પડતા સ્ટ્રેસમાં હોય છે ત્યારે એનાં ટેસ્ટ બર્ડ્સમાં વધુને વધુ જુદા જુદા પ્રકારનાં એન્ક્ઝાઈમ ઉત્પન્ન થતાં હોય છે જે કાયમ જંક ફૂડની માંગણી કરતા હોય છે. તેનું કારણ માણસનાં શરીરમાં પહેલેથી જ જંક ફૂડથી બનેલા કોષો(સેલ્સ) હોય છે જે વધુને વધુ જંક ફૂડની માંગણીઓ કરતાં હોય છે. માસિક ધર્મનાં સમય દરમિયાન મોટા ભાગે સ્ત્રીઓની પણ આ અવસ્થા જોવા મળે છે. બીજું કારણ માંસાહાર ખાવાની આદત હોઈ શકે કારણ કે તે એક એવો ખોરાક છે જે લીધા પછી માણસનું શરીર સંપૂર્ણપણે એસીડીક બનતું જાય છે અને સ્વાસ્થ્ય જાળવવા માટે માનવ શરીર એસીડીકનાં સ્થાને અલ્કલાઇનની નજીક વધુ રહે એ વધુ હિતાવહ કહેવાય માટે શાકાહાર અપનાવવું જોઈએ. વિચિત્ર પ્રકારનાં ઘડેલા ખોરાક ખાવાને બદલે કુદરતે આપેલું ભોજન લેવું વધુ યોગ્ય છે. વળી માંસાહાર કરતાં શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ વધુ ચડિયાતાં છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવવું હશે તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવશરીર માટે એક સંપૂર્ણ ફૂડ-પેકેજ છે, જેમાં જરૂરી વિટામિન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે. સંતુલિત શાકાહારી ખોરાક વ્યક્તિને બાવડેબાજ અને મજબૂત બનાવી શકે છે. શાકાહાર હ્રદયસંબંધી રોગના ખતરાને દૂર રાખે છે માંસાહારમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હ્રદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે, તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હ્રદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે. શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. સ્વસ્થતાનો માપદંડ ગણાતો ‘બોડી માસ ઇન્ડેક્સ’ (બીએમઆઈ) પણ શાકાહારીઓમાં માંસાહારીની તુલનામાં વધુ સારો જોવા મળે છે. શરીરનું વજન એકસરખું જાળવી રાખવા તેમજ સંતુલિત સ્વાસ્થ્ય માટે શાકાહારને વધુ મહત્વ આપવાની નિષ્ણાંતો સલાહ આપે છે. શાકાહાર લાંબી આયુનું વરદાન આપે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે તે પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્‍વનું ઘટક સેરીબ્રોસાઇડ નામનું તત્‍વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક છે. વળી આ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે હાથી, ઘોડો, ગાય, ગેંડો, હિપોપોટેમસ, બકરી, ઊંટ, હરણ જેવા તમામ શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી જ છે માટે લાબું અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાવાનું આદતો સારી બનાવવી જોઈએ અને માદક દ્રવ્યોનાં સેવનથી પણ દુર રહેવું જોઈએ.

લાશ ખાવાનું છોડો, શાકાહારી બનો.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *