ચતુર્વિધ સેવા યજ્ઞ અંતર્ગત પંકજસિંહ કે. જાડેજા મેમોરીયલ ગ્રુપે સન્માન પત્ર પાઠવ્યું
મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ (ખારચીયા રોડ, મોટી પાનેલી, ઉપલેટા) દ્વારા ફકતને ફકત નીરાધાર રસ્તે રખડતા કે જેમનું કોઈ ના હોય તેવા બળદ–ગાયો, વાછરડાને રાખવામાં આવેલા છે, નિભાવવામાં આવે છે. કૃષિક્ષેત્રે માનવજીવનને મદદરૂપ થવા માટે બળદનું વિશેષ મહત્વ રહેલું છે. આ ભાવાર્થને સાર્થક કરતાં આ ટ્રસ્ટ દ્વારા બળદોનો ખાસ નિભાવ કરવામાં આવી રહયો છે. હાલ અહીંયા 150 બળદ, 9 ગાય, અને 8 વાછરડા છે. આ સંસ્થા દ્વારા આ અબોલ જીવોને બે ટાઈમ નીરણ ભરપુર માત્રામાં નાખવામાં આવે છે અને કોઈપણ પશુ બીમાર હોય તો તેને તરત જ સારવાર આપવામાં આવે છે અને સંસ્થામાં નિયમિત સાફસફાઈ માટે પાંચ માણસો કાયમી રાખેલા છે જે નિયમિત સાફસફાઈ અને નિરણ નાખવાનું કામ કરતા હોય છે. સ્થળ ઉપર સાફસફાઈ દરરોજ થાય છે. સાથોસાથ ડોકટરી સારવાર વગેરે પણ આપવામાં આવે છે. સંસ્થામાં છેલ્લા ૩ વર્ષથી નીરાધાર 150 થી વધારે સંખ્યામાં નિરાધાર, રસ્તે રખડતા ગાયો તથા બળદો માટે વિશાળ, કાયમી આશ્રય સ્થાન બનાવી રહી છે. 12 વિઘા જમીનમાં 800થી વધારે સંખ્યામાં આવા રસ્તે રખડતા ગાયો તથા બળદોને આશ્રય અપાશે અને તેમની સારી રીતે સારસંભાળ રાખવા માટે પાકા શેડ બનાવવાનાં છે. જેથી કરી આવા વૃધ્ધ, અશકત, બીમાર અને રસ્તે રખડતા ગાયો તથા બળદોને તેઓ સારી રીતે સાચવી શકે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઇ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમજ માલસામાનની હેરફેર કરવા માટે બળદગાડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો આમ તે તો આપણી સંસ્કૃતિ, વારસો કહેવાય. ઈશ્વરની આવી દુર્લભ દેન ગૌ વંશ બળદને મહાદેવ બળદ સેવા ટ્રસ્ટે જીવનભરનો આશ્રય આપ્યો છે એ માટે ચતુર્વિધ સેવા યજ્ઞ અંતર્ગત પંકજસિંહ કે. જાડેજા મેમોરીયલ ગ્રુપ તેમજ સમસ્ત મોટી પાનેલી ગામ દ્વારા પંકજસિંહ કે. જાડેજાનાં 50માં જન્મ દિવસે મહાદેવ બળદ સેવા ટ્રસ્ટનું સન્માન કર્યું.
